.
મોહનદાસ કરમચંદ ગાંધી દક્ષિણ આફ્રિકામાં પોતાની વિશિષ્ટ વિચારધારા અને પ્રવૃત્તિઓથી ખ્યાતિ પામ્યા.
હિંદુસ્તાનના અગ્રગણ્ય નેતા ગોપાલ કૃષ્ણ ગોખલે (1866 – 1915)એ ગાંધીજીને સ્વદેશ પરત થઈ દેશસેવામાં જોડાવા આહવાન કર્યું.
ગોખલેજીના સૂચનને સ્વીકારી ગાંધીજી 1915ના 9મી જાન્યુઆરીએ હિંદુસ્તાન આવ્યા.
ગાંધીજીએ સૌરાષ્ટ્ર તથા બંગાળનો પ્રવાસ કર્યો.
ગાંધીજી બંગાળમાં શાંતિનિકેતન ગયા અને ગુરુદેવ રવીન્દ્રનાથ ટાગોર સાથે રહ્યા. ‘ગીતાંજલિ’ માટે નોબેલ પ્રાઈઝથી સન્માનિત કવિવર રવીન્દ્રનાથ ટાગોરે ગાંધીજીને ‘મહાત્મા’ કહી સંબોધ્યા. ત્યારથી મોહનદાસ ગાંધી ‘મહાત્મા ગાંધી’ તરીકે જાણીતા થયા.
ગાંધીજીએ અમદાવાદમાં ઠરીઠામ થઈ પોતાની પ્રવૃત્તિઓ કરવા નિર્ણય લીધો.
અમદાવાદમાં પાલડી તરફના કોચરબ પરા વિસ્તારમાં એક વકીલ જીવણલાલનો બંગલો હતો. મહાત્મા ગાંધીએ આ બંગલો ભાડે લઈ પોતાની પ્રવૃત્તિઓનો આરંભ કર્યો.
1915ના મે મહિનામાં તે સ્થળે ગાંધીજીના સત્યાગ્રહ આશ્રમ (કોચરબ) નો આરંભ થયો.
.