Archive for October, 2009
આંતરરાષ્ટ્રીય ફલક પર ગુજરાતી મહિલા: હંસાબહેન મહેતા
.
ગુજરાત રાજ્યના પ્રથમ મુખ્ય મંત્રી ડો. જીવરાજ મહેતાનાં ધર્મપત્ની હંસાબહેન મહેતા હતાં.
ભારે રૂઢિવાદી સમાજના જમાનામાં 1897માં તેમનો જન્મ, છતાં. તેમણે 1918માં ફિલોસોફી વિષય સાથે બીએની પરીક્ષા પાસ કરી. પત્રકારત્વના અભ્યાસ માટે હંસાબહેન ઇંગ્લેન્ડ ગયાં. સમાજમાં સ્ત્રીઓના સ્થાન માટે હંસાબહેન ચિંતિત હતાં અને હમેશા સ્ત્રીઓના વિકાસ માટે સક્રિય રહેતાં.
1920માં સ્વિટ્ઝરલેંડની ઈન્ટરનેશનલ કોન્ફરન્સમાં હંસાબહેન મહેતાએ હિંદના બુલબુલ સરોજિની નાયડુ સાથે હિંદુસ્તાનના મહિલા પ્રતિનિધિઓ તરીકે ભાગ લીધો. 1947માં હિંદુસ્તાન આઝાદ થયું અને સ્વતંત્ર ભારતના યુનાઇટેડ નેશન્સ (યુનો) ખાતેના પ્રતિનિધિ તરીકે હંસાબહેન અમેરિકા ગયા. “અનુપમા”નાં વાચકમિત્રો જાણે છે કે બ્રિટીશ રાજમાં ડો. જીવરાજ મહેતા વડોદરા રાજ્યના દીવાન હતા.
1949માં વડોદરાની મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી (એમ. એસ. યુનિવર્સિટી) ના ઉપકુલપતિપદે હંસાબહેન નિમાયાં. ટૂંકમાં, હંસાબહેન મહેતાએ ગુજરાતી મહિલા તરીકે રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય ફલક પર નામના પામી ગુજરાતને ગૌરવ બક્ષ્યું.
“અનુપમા”ના વાચક મિત્રો! આપ જાણો છો કે ગુજરાતી ભાષાની પ્રથમ નવલકથા “કરણઘેલો”ના લેખક નંદશંકર મહેતા હતા. હંસાબહેન ગુજરાતના પ્રથમ નવલકથાકાર અને સુરતનાં સમાજસુધારક નંદશંકર મહેતાના પુત્ર સર મનુભાઈ મહેતાનાં પુત્રી હતાં.
2 comments October 15, 2009