Archive for December, 2008
એક ગુજરાતી વિદ્વાન આઇન્સ્ટાઇનની મુલાકાતે
.
આપને મેં ક્યારેક ભાવનગરના દિવાન શામળદાસ મહેતા વિશે વાત કરેલ છે. તેમના નાના પુત્ર લલ્લુભાઈ.
સર લલ્લુભાઈ શામળદાસ મહેતાના સૌથી નાના પુત્ર ગગનવિહારી મહેતા(1900 - 1974)એ ગુજરાતને ગૌરવ બક્ષ્યું છે.
ગગનવિહારી લલ્લુભાઈ મહેતાને ફિલોસોફી તથા સાહિત્યમાં ઊંડો રસ હતો.
ગગનવિહારી મહેતાએ એમ.એ.ની પરીક્ષા માટે વિશ્વવિખ્યાત બ્રિટીશ ફિલોસોફર-વિચારક બર્ટ્રાન્ડ રસેલ પર મહાનિબંધ લખેલ. તેમના પરીક્ષક ભારતીય તત્વચિંતક ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણન હતા. નિબંધથી પ્રભાવિત થયેલા ડૉ. રાધાકૃષ્ણને તેમને પ્રથમ વર્ગ આપ્યો હતો.
1952માં ગગનવિહારી મહેતા ભારત સરકારના અમેરિકા ખાતેના એલચી નિમાયા. તેમણે અમેરિકા તથા મેક્સિકોના ભારતીય એલચી તરીકેની જવાબદારીભરી અને સન્માનનીય જવાબદારી નિભાવી.
તે સમયે સુપ્રસિદ્ધ જર્મન વૈજ્ઞાનિક આલ્બર્ટ આઇન્સ્ટાઇન અમેરિકામાં પ્રિન્સ્ટન (ન્યૂ જર્સી) ખાતે અધ્યાપન અને સંશોધન કાર્યમાં રત હતા. 1953ના એપ્રિલમાં ગગનવિહારી મહેતા મહામાનવ આઇન્સ્ટાઇનને મળવા પ્રિન્સ્ટન ગયા હતા. લગભગ એક કલાકની મુલાકાતમાં અર્ધો કલાક તો મહાત્મા ગાંધી અને તેમની વિચારસરણી પર વાતો થઈ.
મહાન અણુવિજ્ઞાની આઇન્સ્ટાઇનને ગાંધીજી પ્રત્યે ઊંડો આદરભાવ હતો અને તેમણે ગાંધી વિચારધારાનો ગહન અભ્યાસ પણ કર્યો હતો. આઇન્સ્ટાઇનને બર્ટ્રાન્ડ રસેલની અસાધારણ બુદ્ધિપ્રતિભા માટે પણ વિશેષ માન હતું. આઇન્સ્ટાઇન સાથેની મુલાકાતમાં ગગનવિહારી મહેતાને મહાન વૈજ્ઞાનિકના મુખેથી મહાત્મા ગાંધી માટે પ્રશંસા અને આદરનાં ફૂલો જ વેરાતાં દેખાયાં. ***
3 comments December 4, 2008