Archive for October, 2008
ભાવનગરની શામળદાસ કોલેજ
.
ગુજરાત અને સૌરાષ્ટ્રની વાત કરતાં આપણે રાજકોટને પહેલાં યાદ કરીએ.
ભાઈ, ભાવનગર તો જાણે અળખામણું. ભાવનગર પ્રદેશની ભવ્યતા કેમ ભૂલાઈ જતી હશે? વલ્લભીપુરની સમૃદ્ધિ અને ઘોઘા બંદરની નામના પણ વિસરાઈ જશે? ખેર. ભાવનગરનો વાવટો ઇન્ટરનેટ પર ગુજરાતી નેટ જગતમાં ફરકતો રાખનાર એક અમારા મિત્ર શ્રી વિશ્વદીપ બારડ પણ છે.
ચાલો, પાછા મૂળ મુદ્દે ભાવનગરની એક-બે વાતો કરી લઈએ. ભાવનગરનું નામ પડતાં શામળદાસ કોલેજનું નામ કાનમાં ગુંજે.
મિત્રો! ભાવનગર શહેર મહારાજા ભાવસિંહજી પહેલાએ 1723માં વસાવ્યું. ઓગણીસમી સદીમાં મહારાજા ભાવસિંહજીના વંશજોમાં એક મહારાજા તખ્તસિંહજી.
ભાવનગર નરેશ તખ્તસિંહજીના દીવાન તરીકે શામળદાસ મહેતા હતા. નાગર બ્રાહ્મણ શામળદાસના કુટુંબમાં દીવાનપદું વંશપરંપરાગત ચાલ્યું આવતું હતું. શામળદાસ મહેતા ભારે બાહોશ વહીવટકર્તા. ભાવનગર રાજ્યના કારભાર સાથે કુટુંબવ્યવસ્થા પણ કુશાગ્રતાથી સંભાળતા. તેમના કાર્યકાળમાં ભાવનગરમાં મહાન ગુજરાતી સાક્ષર અને ‘સરસ્વતીચંદ્ર’ના લેખક ગોવર્ધનરામ ત્રિપાઠીનું આગમન થયું. ગોવર્ધનરામ ત્રિપાઠી ભાવનગર રાજ્યના એક ઉચ્ચ અધિકારી તરીકે નિમણૂક પામ્યા. સાક્ષર તો દીવાનની કાર્યદક્ષતાથી ભારે પ્રભાવિત થયા.
શામળદાસ મહેતા ગોવર્ધનરામ ત્રિપાઠીના મહાસર્જન ‘સરસ્વતીચંદ્ર’ના પાત્ર અમાત્ય બુદ્ધિધનના પાત્રની પ્રેરણાનું મૂળ બન્યા તેવું કહેવાય છે.
1884માં શામળદાસ મહેતાનું અવસાન થતાં તેમના જ્યેષ્ઠ પુત્ર વિઠ્ઠલદાસ મહેતા ભાવનગરના દીવાનપદે તથા બીજા પુત્ર લલ્લુભાઈ મહેતા રેવન્યુ અધિકારી તરીકે નિમાયા.
બંને ભાઈઓએ પિતા શામળદાસની યાદમાં ભાવનગરમાં શામળદાસ કોલેજની સ્થાપના કરી.
* * *
4 comments October 12, 2008