ગુજરાતી રંગભૂમિ
.
ગુજરાતી રંગભૂમિના વિકાસના કેટલાક રસપ્રદ તબક્કાઓ છે.
ઇસ 1842માં મુંબઈમાં ગ્રાંટ રોડ પર રોયલ થિયેટર બંધાયું.
મુંબઈના જગન્નાથ શંકર શેઠ નામે ધનપતિ ગુજરાતીએ તે બંધાવ્યું હોવાથી રોયલ થિયેટર ‘શંકર શેઠની નાટક શાળા” તરીકે ઓળખાયું.
સાચું કહો તો, ગુજરાતી ભાષામાં નાટ્યપ્રવૃત્તિઓના શ્રીગણેશ કરવાનો શ્રેય ગુજરાત બહારના, મુંબઈના પારસીઓને જાય છે.
મુંબઈના પારસી આગેવાનોએ સ્થાપેલ ‘પારસી નાટક મંડળી’એ ગુજરાતી રંગભૂમિની નાટ્યપ્રવૃત્તિઓને ત્વરાથી વિકસાવી. ગુજરાતી નાટ્યશાસ્ત્રના પ્રારંભિક તબક્કામાં નાટ્યલેખન, દિગ્દર્શન અને અભિનય ક્ષેત્રે પારસીઓની બોલબાલા હતી.
રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી (ગાંધીજી) નો જન્મ જે વર્ષમાં થયો, તે વર્ષ 1869માં કે. ખુશરૂ કાબરાજીની ‘વિક્ટોરિયા નાટક મંડળી’નું ‘બેજન મનીજેહ’ નાટક ભારે સફળતાને વર્યું.
‘પારસી નાટક મંડળી’ના નાટક ‘રૂસ્તમ સોહરાબ’માં કવિ દલપતરામનાં ગીતો હતાં.
ગુજરાતી લેખક નાટ્યકાર રણછોડભાઈ ઉદયરામ દવેનાં / નાટક પારસી નાટક કંપનીઓ ભજવતી. એક નાટ્યપ્રયોગ વખતે મુંબઈના ગુજરાતી મહેતાજીઓને પારસી નાટક કંપની સાથે મતભેદ થયો.
1878માં મુંબઈના ગુજરાતીઓએ ‘ગુજરાતી નાટક મંડળી’ની સ્થાપના કરી.
આ નવોદિત ‘ગુજરાતી નાટક મંડળી’નો પહેલો નાટ્ય પ્રયોગ તે રણછોડભાઈ ઉદયરામ દવેનું ‘લલિતાદુઃખદર્શક’.
ગુજરાતી રંગમંચના મહાન કલાકાર જયશંકર ‘સુંદરી’એ ‘ગુજરાતી નાટક મંડળી’માં વર્ષો સુધી અભિનય આપ્યો. ગુજરાતી રંગભૂમિના વિકાસમાં જયશંકર ‘સુંદરી’નું યોગદાન અવિસ્મરણીય છે.
* * * ** **
Add comment March 18, 2008