મહાત્મા ગાંધી, સરદાર પટેલ અને અમદાવાદની ગુજરાત ક્લબ
.
અમદાવાદના લાલ દરવાજા વિસ્તારમાં આવેલ પ્રખ્યાત ગુજરાત ક્લબને અમદાવાદવાસીઓ જાણે ખરા, પણ તેનું મહત્વ વિસરતા જાય છે.
ગુજરાત ક્લબને ગાંધીજી અને સરદાર પટેલ સાથે શો સંબંધ હોય, ભલા?
ગાંધીજી ઈંગ્લેંડમાં બેરિસ્ટર થઈ આફ્રિકા વકીલાત કરવા ગયા હતા તે આપ જાણો છો. તે સમયે ગાંધી બાપૂ આફ્રિકામાં મિ. એમ.કે. ગાંધી (મોહનદાસ કરમચંદ ગાંધી કે ટૂંકમાં મિ. ગાંધી) તરીકે ઓળખાતા.
આફ્રિકાથી ગાંધીજી જાન્યુઆરી, 1915માં ભારત આવ્યા ત્યારે તેમણે પોતાના વતન ગુજરાતમાં સ્થાયી થવું નક્કી કર્યું. ગુજરાતીઓમાં હિંદુસ્તાનની સ્વતંત્રતા બાબત જાગૃતિ આવી રહી હતી.
ગુજરાતમાં મહાત્મા ગાંધીએ અમદાવાદના પાલડી પાસે કોચરબમાં પોતાનો પહેલો આશ્રમ સ્થાપ્યો.
કોચરબ આશ્રમમાં તેમણે પોતાની પ્રવૃત્તિઓ શરૂ કરી, ત્યારે અમદાવાદના લાલ દરવાજા વિસ્તારમાં સ્થિત ગુજરાત ક્લબ વકીલો અને અન્ય બુદ્ધિજીવીઓનું મિલનસ્થાન બની રહેતી. ગાંધીજી કાઠિયાવાડી પહેરવેશમાં ગુજરાત ક્લબ જતા – અંગરખું, માથે ફાળિયું અને ખેસ.
ગુજરાત ક્લબમાં ગણેશ વાસુદેવ માવલંકર (સ્વતંત્ર ભારતની સંસદના પ્રથમ લોકસભાના પ્રથમ સ્પીકર દાદાસાહેબ માવળંકર, અમદાવાદની એલ.ડી. આર્ટસ કોલેજના પ્રિન્સિપાલ પુરૂષોત્તમ માવળંકરના પિતા) અને સરદાર વલ્લભભાઈ પટેલ સહિત અગ્રણી નાગરિકો આવતા. ગાંધીજી તેમની સમક્ષ પોતાના વિચારો અને અનુભવો રજૂ કરતા.
સરદાર પટેલ ત્યારે કોટ-પેન્ટ-બુટમાં નખશીખ વિદેશી દેખાવમાં રહેતા અને મોંમાં ચિરૂટ રાખતા. શરૂઆતની મુલાકાતોમાં સરદાર પટેલ મહાત્મા ગાંધીની વાતોથી પ્રભાવિત નહોતા થયા. ઉપરથી, સરદાર પટેલ સાથી વકીલ મિત્રો સાથે બ્રીજ રમતાં રમતાં ગાંધીજીના કાઠિયાવાડી પોષાકની મજાક ઉડાવતા.
આ જ સરદાર પટેલ બે જ વર્ષના સમયગાળામાં વિદેશી ઢબ-છબ છોડી ગાંધીજીના ચુસ્ત અનુયાયી બની ગયા!!!
.
Add comment November 14, 2007