1920માં અમદાવાદમાં ગુજરાતી સાહિત્ય પરિષદનું છઠ્ઠું અધિવેશન આયોજીત થયેલું.
તેમાં ખાસ મહેમાન ગુરુદેવ રવીન્દ્રનાથ ટાગોર હતા. હજી સાત વર્ષ પહેલાં 1913માં કવિવર રવીન્દ્રનાથ ટાગોરને “ગીતાંજલિ” માટે સાહિત્યમાં નોબેલ પુરસ્કાર (નોબેલ પ્રાઈઝ) એનાયત થયેલ. કવિવર રવીન્દ્રનાથ ટાગોર નોબેલ પ્રાઈઝ જીતનાર પ્રથમ ભારતીય હતા. કવિવર રવીન્દ્રનાથ ટાગોર તરુણાવસ્થામાં અમદાવાદ રહી ચૂક્યા હતા. તે સમયે તેમના મોટાભાઈ સત્યેન્દ્રનાથ ટાગોર અમદાવાદમાં જજ નિમાયેલ હતા.
છઠ્ઠા અધિવેશન વખતે ગુજરાતી સાહિત્ય પરિષદના પ્રમુખપદે સાહિત્યકાર હરગોવિંદદાસ કાંટાવાળા હતા. અધિવેશનના મહેમાનોના સ્વાગતની જવાબદારી સાક્ષર ડો. આનંદશંકર બાપુભાઈ ધ્રુવ પર હતી.
જ્યારે મહાયોગી શ્રી અરવિંદ વડોદરા કોલેજમાં હતા, તે સમયે હરગોવિંદદાસ કાંટાવાળા વડોદરા રાજ્યમાં ઉચ્ચ અધિકારી હતા. તેમના પુત્ર મટુભાઈ કાંટાવાળા મુંબઈ યુનિવર્સિટીમાંથી ગુજરાતી વિષય સાથે એમ. એ. થનાર પ્રથમ ગુજરાતી હતા.
1905માં અમદાવાદમાં ગુજરાતી સાહિત્ય પરિષદનું પ્રથમ અધિવેશન ભરાયેલું. તેના પ્રમુખપદે સાક્ષર ગોવર્ધનરામ ત્રિપાઠી હતા. આ અરસામાં અમદાવાદમાં ભરાયેલા કોંગ્રેસના અધિવેશનમાં વડોદરાના મહારાજા સયાજીરાવ ગાયકવાડ હાજર રહ્યા હતા. મહારાજા સયાજીરાવ ગાયકવાડનું સંબોધન મહાયોગી શ્રી અરવિંદે તૈયાર કરી આપ્યું હતું. મહાયોગી શ્રી અરવિંદ તે સમયે વડોદરા કોલેજમાં પ્રોફેસર હતા. * * * *
January 21, 2007
.
ભારતીય ફિલ્મ ઉદ્યોગના પ્રણેતા દાદાસાહેબ ફાળકે નાસિકના વતની.
તેમણે 1913માં ભારતમાં પ્રથમ ફીચર ફિલ્મ બનાવી સિનેમાઉદ્યોગનો પાયો નાખ્યો.
દાદાસાહેબ ફાળકે નિર્મિત ભારતની પ્રથમ ફીચર ફિલ્મ હતી “રાજા હરિશ્ચન્દ્ર”. તે પૂર્ણ લંબાઈની સંપૂર્ણપણે ભારતીય પ્રથમ ફીચર ફિલ્મ હતી. તે ફિલ્મના નિર્માતા, દિગ્દર્શક, સિનેમેટોગ્રાફર દાદાસાહેબ ફાળકે હતા.
“રાજા હરિશ્ચન્દ્ર” ફિલ્મમાં રાજા હરિશ્ચન્દ્ર તથા રાણી તારામતીની કથા હતી. રાજા હરિશ્ચન્દ્રની ભૂમિકા ડી. ડી. ડબકે નામના મહારાષ્ટ્રીયને ભજવી હતી. ભારતીય ફિલ્મ ઉદ્યોગના પ્રથમ અભિનેતા ડી. ડી. ડબકે બન્યા.
તારામતીની ભૂમિકા માટે તે જમાનામાં કોઈ સ્ત્રી, કોઈ અભિનેત્રી તૈયાર ન થઈ. છેવટે દાદાસાહેબે એક યુવાન વેઈટરને સ્ત્રી પાત્ર ભજવવા રાજી કર્યો. આમ, ભારતીય સિનેમા ઉદ્યોગની પ્રથમ ફિલ્મમાં પ્રથમ સ્ત્રીપાત્ર તરીકે સાલુકે નામના યુવાન પુરુષે અભિનય આપ્યો.
“રાજા હરિશ્ચન્દ્ર” મુંબઈના સેંડહર્સ્ટ રોડ પર આવેલ કોરોનેશન સિનેમામાં 3જી મે, 1913ના દિને રજૂ થઈ.
* * * * * * *
દાદાસાહેબ ફાળકે : વિશેષ માહિતી વાંચો : અનામિકા
January 20, 2007
.
ગુજરાત આ પ્રજાપ્રેમી અંગ્રેજ ઓફિસર એલેક્ઝાન્ડર કિન્લોક ફૉર્બસને ફાર્બસ સાહેબ તરીકે જાણે છે.
સ્કોટલેન્ડ (ઈંગ્લેન્ડ)ના વતની એલેક્ઝાન્ડર કિન્લોક ફૉર્બસે ઈસ્ટ ઈંડિયા કંપનીની અંગ્રેજ હકૂમત માટે અમદાવાદ, સુરત તથા મુંબઈમાં વિવિધ હોદ્દાઓ સંભાળ્યા.
એપ્રિલ 15, 1850 ના રોજ ફાર્બસ સાહેબની સુરતના સેશન્સ જજ તરીકે નિમણૂક થઈ. ફાર્બસ સાહેબે સુરતના સમાજ સુધારક દુર્ગારામ મહેતાજી તથા અન્ય અગ્રણી પ્રજાજનો સાથે મૈત્રીભર્યા સંબંધો વિકસાવ્યા.
સુરત શહેર એલેક્ઝાન્ડર કિન્લોક ફૉર્બસે ઉર્ફે ફાર્બસ સાહેબ પ્રતિ ત્રણ મુખ્ય કાર્યોથી ઋણી રહેશે:
પ્રથમ તો, ફાર્બસ સાહેબની પ્રેરણાથી જુલાઈ 1, 1850ના રોજ સુરતમાં વિખ્યાત એન્ડ્રુઝ લાયબ્રેરીની સ્થાપના થઈ.
બીજું, ફાર્બસ સાહેબની જ પ્રેરણાથી ઓક્ટોબર 10, 1850ના દિને સુરત શહેરના પ્રથમ વર્તમાનપત્ર “સુરત સમાચાર”નો આરંભ થયો.
ત્રીજું, સુધરાઈની સ્થાપના માટે જનમત કેળવવાનું. તે સમયે પ્રજા એટલી રૂઢિચુસ્ત હતી કે સુધરાઈ જેવી લોકોપયોગી સંસ્થા વિષે પણ તર્ક-વિતર્ક કરતી હતી. ફાર્બસ સાહેબ કવિ દલપતરામ અને દુર્ગારામ મહેતાજી જેવા સુધારક મિત્રો સાથે સુરતના લત્તે લત્તે ફર્યા અને સુધરાઈ વિષે લોકોની ગેરસમજ દૂર કરવા પ્રયત્નો કર્યા. જનમત તૈયાર કરી સુધરાઈની સ્થાપના માટે વાતાવરણ ઊભું કરીને ફાર્બસ સાહેબે સુરતના વિકાસ માટે પાયા નાખ્યા. 1852માં સુરત શહેરમાં સુધરાઈની સ્થાપના થઈ.
ગુજરાત અને ગુજરાતી ભાષાને પ્રેમ કરનાર સંસ્કારપ્રેમી, જનહિતવાંચ્છક ફાર્બસ સાહેબને ગુજરાત હંમેશા કૃતજ્ઞતાથી યાદ રાખશે.
વાંચો જીવનઝરમર: દલપતરામ
વાંચો જીવનઝરમર: દુર્ગારામ મહેતાજી
January 17, 2007
.
શેઠ કસ્તુરભાઈ લાલભાઈના દાદા શેઠ દલપતભાઈ.
શેઠ કસ્તુરભાઈના પિતા શેઠ લાલભાઈ તથા માતા મોહિનાબા.
લાલભાઈ શેઠે 1905માં અમદાવાદમાં “રાયપુર મિલ”ની સ્થાપના સાથે કાપડ-મિલ ઉદ્યોગમાં ઝંપલાવ્યું. 1912માં લાલભાઈ શેઠનું અવસાન થતાં તેમના વચેટ પુત્ર કસ્તુરભાઈએ કોલેજનો અભ્યાસ અધૂરો છોડ્યો અને પિતાની મિલ સંભાળી.
1921માં કસ્તુરભાઈએ બીજી મિલ સ્થાપી : અશોક મિલ. (પોતાના મોટા ભાઈ ચિમનભાઈના પુત્ર અશોકભાઈના નામ પરથી) ત્યાર પછી કસ્તુરભાઈએ અરૂણ , સરસપુર તથા નૂતન મિલ વિકસાવી. 1931-32 માં નાનાભાઈ નરોત્તમભાઈના પુત્ર અરવિંદભાઈના નામ પરથી અરવિંદ મિલની સ્થાપના કરી.
આમ, ઉત્તરોત્તર પ્રગતિ કરી શેઠ કસ્તુરભાઈ લાલભાઈએ સાત મિલો સુધી લાલભાઈ ગ્રુપને વિકસાવ્યું. કુનેહપૂર્વકના વહીવટ દ્વારા શેઠ કસ્તુરભાઈએ લાલભાઈ ગ્રુપનું નામ તો દેશભરમાં જાણીતું કર્યું જ, સાથે સાથે અમદાવાદના મિલ ઉદ્યોગની પ્રતિષ્ઠા વિશ્વસ્તર પર પહોંચાડી.
શેઠ કસ્તુરભાઈ સમયના સદુપયોગ સંબંધે હમેશા સભાન રહેતા. તેમણે ભાગ્યે જ કોઈ મનોરંજન કે શોખની પ્રવૃત્તિ પાછળ સમય ખર્ચ્યો હશે! તેઓ રાજકારણથી પણ દૂર રહ્યા હતા, છતાં પોતાની ઔદ્યોગિક પ્રવૃત્તિઓ અને તે દ્વારા અર્જિત સંપત્તિ દ્વારા સમાજના કલ્યાણ માટે તત્પર રહેતા.
શેઠ કસ્તુરભાઈએ ગુજરાતના સામાજિક-શૈક્ષણિક ક્ષેત્રે નોંધપાત્ર યોગદાન આપ્યું છે.
ગુજરાત યુનિવર્સિટી, આઈ. આઈ. એમ. અમદાવાદ (IIM-Ahmedabad), એન.આઈ.ડી , અમદાવાદ એજ્યુકેશન સોસાયટી વગેરે સંસ્થાઓના વિકાસમાં શેઠ કસ્તુરભાઈનો અમૂલ્ય ફાળો છે.
શેઠ કસ્તુરભાઈના પુત્રો સિદ્ધાર્થભાઈ અને શ્રેણિકભાઈ. હાલ તેમનાં સંતાનો પણ પૂર્વજોની પ્રતિષ્ઠાને અનુરૂપ અમદાવાદ તથા ગુજરાતને પ્રદાન કરતા રહ્યા છે. ગયા અઠવાડિયે જ અમદાવાદ એજ્યુકેશન સોસાયટીની ગવર્નિંગ બોડીમાં સંજય શ્રેણિકભાઈ લાલભાઈ પ્રમુખ તરીકે ચૂંટાઈ આવ્યા છે.
** ** ** ** ** ** ** ** ** ** ** **
શેઠ કસ્તુરભાઈ લાલભાઈ: વાંચો જીવનઝરમર
January 9, 2007
.
ગોવર્ધનરામ ત્રિપાઠી (1855-1907) ગુજરાતી ભાષાના મહાન સાક્ષર.
ગુજરાતી ભાષાની સુપ્રસિદ્ધ મહાનવલ “ સરસ્વતીચંદ્ર ”ના સમર્થ કર્તા.
ગોવર્ધનરામ ત્રિપાઠીએ 1885માં આરંભેલી મહાનવલ “સરસ્વતીચંદ્ર” પાંચ વર્ષના અંતે 1900ના ડિસેમ્બરની 23મી તારીખે લખાઈ રહી. આ સાથે જ ગોવર્ધનરામ ત્રિપાઠીની કીર્તિ ચોમેર પ્રસરી રહી.
ગુજરાતના આ મહાન નવલકથાકાર 1907માં ચોથી જાન્યુઆરીએ સ્વર્ગવાસી થયા.
ગુજરાતની પ્રજાએ, આપણે સૌ ગુજરાતીઓએ ગર્વ લેવો ઘટે કે સરસ્વતીચંદ્રના આ સિદ્ધહસ્ત સર્જકના અવસાનની નોંધ લંડનથી પ્રગટ થતા ઈંગ્લેન્ડના વિશ્વવિખ્યાત દૈનિક અખબાર “લંડન ટાઈમ્સ”માં ફેબ્રુઆરી 13, 1907ના દિને પ્રગટ થઈ હતી.
* * * * * * *
જીવન ઝરમર વાંચો: ગોવર્ધનરામ ત્રિપાઠી
January 7, 2007
.
જલસભર
નભ-વાદળી
લથબથ થઈને
જગ કરંતી
તરબતર!
* * * * * * *
અર્ધા નભમાં
અર્ધું વાદળ,
અર્ધી અર્ધી બરખા!
અર્ધ ભીગેલું
તપ્ત બદન!
* * * * * * *
January 3, 2007