એક ગુજરાતી વિદ્વાન આઇન્સ્ટાઇનની મુલાકાતે

.

આપને મેં ક્યારેક ભાવનગરના દિવાન શામળદાસ મહેતા વિશે વાત કરેલ છે. તેમના નાના પુત્ર લલ્લુભાઈ.

સર લલ્લુભાઈ શામળદાસ મહેતાના સૌથી નાના પુત્ર ગગનવિહારી મહેતા(1900 - 1974)ગુજરાતને ગૌરવ બક્ષ્યું છે.

ગગનવિહારી લલ્લુભાઈ મહેતાને ફિલોસોફી તથા સાહિત્યમાં ઊંડો રસ હતો.

ગગનવિહારી મહેતાએ એમ.એ.ની પરીક્ષા માટે વિશ્વવિખ્યાત બ્રિટીશ ફિલોસોફર-વિચારક બર્ટ્રાન્ડ રસેલ પર મહાનિબંધ લખેલ. તેમના પરીક્ષક ભારતીય તત્વચિંતક ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણન હતા. નિબંધથી પ્રભાવિત થયેલા ડૉ. રાધાકૃષ્ણને તેમને પ્રથમ વર્ગ આપ્યો હતો.

1952માં ગગનવિહારી મહેતા ભારત સરકારના અમેરિકા ખાતેના એલચી નિમાયા. તેમણે અમેરિકા તથા મેક્સિકોના ભારતીય એલચી તરીકેની જવાબદારીભરી અને સન્માનનીય જવાબદારી નિભાવી.

તે સમયે સુપ્રસિદ્ધ જર્મન વૈજ્ઞાનિક આલ્બર્ટ આઇન્સ્ટાઇન અમેરિકામાં પ્રિન્સ્ટન (ન્યૂ જર્સી) ખાતે અધ્યાપન અને સંશોધન કાર્યમાં રત હતા. 1953ના એપ્રિલમાં ગગનવિહારી મહેતા મહામાનવ આઇન્સ્ટાઇનને મળવા પ્રિન્સ્ટન ગયા હતા. લગભગ એક કલાકની મુલાકાતમાં અર્ધો કલાક તો મહાત્મા ગાંધી અને તેમની વિચારસરણી પર વાતો થઈ.

મહાન અણુવિજ્ઞાની આઇન્સ્ટાઇનને ગાંધીજી પ્રત્યે ઊંડો આદરભાવ હતો અને તેમણે ગાંધી વિચારધારાનો ગહન અભ્યાસ પણ કર્યો હતો. આઇન્સ્ટાઇનને બર્ટ્રાન્ડ રસેલની અસાધારણ બુદ્ધિપ્રતિભા માટે પણ વિશેષ માન હતું. આઇન્સ્ટાઇન સાથેની મુલાકાતમાં ગગનવિહારી મહેતાને મહાન વૈજ્ઞાનિકના મુખેથી મહાત્મા ગાંધી માટે પ્રશંસા અને આદરનાં ફૂલો જ વેરાતાં દેખાયાં. ***

Add comment December 4, 2008

વિઠ્ઠલદાસ ઠાકરસી – મુંબઈના સૌથી નાની ઉંમરના ગુજરાતી મેયર

 

વીસમી સદીના ઉદય સમયે હિંદુસ્તાનના મુંબઈ શહેરની વાત.

મુંબઈ શહેરના એક પ્રતિષ્ઠિત મિલમાલિક શ્રેષ્ઠી ગુજરાતી વિઠ્ઠલદાસ ઠાકરસી (ઠાકરશી).

માત્ર ત્રેવીસ વર્ષની વયે વિઠ્ઠલદાસ ઠાકરસી મિલમાલિક – ઉદ્યોગપતિ તરીકે નામના પામ્યા. ઇસ 1898માં માત્ર પચ્ચીસ વર્ષની ઉંમરે વિઠ્ઠલદાસ મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશનના કોર્પોરેટર તરીકે ચૂંટાયા.

1907માં વિઠ્ઠલદાસ ઠાકરસી મુંબઈ શહેરના મેયર બન્યા.

મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશનના સૌથી નાની ઉંમરના મેયર બનવાનું માન આપણા આ ગરવા ગુજરાતી વિઠ્ઠલદાસ ઠાકરસીને મળ્યું.

તે સમયે મુંબઈમાં ઘોડાથી ચાલતી ટ્રામ દોડતી. મુંબઈના નવયુવાન ગુજરાતી મેયર વિઠ્ઠલદાસ ઠાકરસીએ મુંબઈ શહેરમાં ઈલેક્ટ્રિક ટ્રામ શરૂ કરી. *  **    *   *  *

1 comment November 24, 2008

ભાવનગરની શામળદાસ કોલેજ

.

ગુજરાત અને સૌરાષ્ટ્રની વાત કરતાં આપણે રાજકોટને પહેલાં યાદ કરીએ.

ભાઈ, ભાવનગર તો જાણે અળખામણું.  ભાવનગર પ્રદેશની ભવ્યતા કેમ ભૂલાઈ જતી હશે? વલ્લભીપુરની સમૃદ્ધિ અને ઘોઘા બંદરની નામના પણ વિસરાઈ જશે? ખેર. ભાવનગરનો વાવટો ઇન્ટરનેટ પર ગુજરાતી નેટ જગતમાં ફરકતો રાખનાર એક અમારા મિત્ર શ્રી વિશ્વદીપ બારડ  પણ છે.

ચાલો, પાછા મૂળ મુદ્દે ભાવનગરની એક-બે વાતો કરી લઈએ. ભાવનગરનું નામ પડતાં શામળદાસ કોલેજનું નામ કાનમાં ગુંજે.

મિત્રો! ભાવનગર શહેર મહારાજા ભાવસિંહજી પહેલાએ 1723માં વસાવ્યું. ઓગણીસમી સદીમાં મહારાજા ભાવસિંહજીના વંશજોમાં એક મહારાજા તખ્તસિંહજી.

ભાવનગર નરેશ તખ્તસિંહજીના દીવાન તરીકે શામળદાસ મહેતા હતા. નાગર બ્રાહ્મણ શામળદાસના કુટુંબમાં દીવાનપદું વંશપરંપરાગત ચાલ્યું આવતું હતું. શામળદાસ મહેતા ભારે બાહોશ વહીવટકર્તા. ભાવનગર રાજ્યના કારભાર સાથે કુટુંબવ્યવસ્થા પણ કુશાગ્રતાથી સંભાળતા. તેમના કાર્યકાળમાં ભાવનગરમાં મહાન ગુજરાતી સાક્ષર અને ‘સરસ્વતીચંદ્ર’ના લેખક ગોવર્ધનરામ ત્રિપાઠીનું આગમન થયું. ગોવર્ધનરામ ત્રિપાઠી ભાવનગર રાજ્યના એક ઉચ્ચ અધિકારી તરીકે  નિમણૂક પામ્યા. સાક્ષર તો દીવાનની કાર્યદક્ષતાથી ભારે પ્રભાવિત થયા.

શામળદાસ મહેતા ગોવર્ધનરામ ત્રિપાઠીના મહાસર્જન ‘સરસ્વતીચંદ્ર’ના પાત્ર અમાત્ય બુદ્ધિધનના પાત્રની પ્રેરણાનું મૂળ બન્યા તેવું કહેવાય છે.

1884માં શામળદાસ મહેતાનું અવસાન થતાં તેમના જ્યેષ્ઠ પુત્ર વિઠ્ઠલદાસ મહેતા ભાવનગરના દીવાનપદે તથા બીજા પુત્ર લલ્લુભાઈ મહેતા રેવન્યુ અધિકારી તરીકે નિમાયા.

 બંને ભાઈઓએ પિતા શામળદાસની યાદમાં ભાવનગરમાં શામળદાસ કોલેજની સ્થાપના કરી.

*  *  *

3 comments October 12, 2008

સી. એન. વિદ્યાલય, અમદાવાદ તથા ગુજરાતી રંગભૂમિ

.

ગુજરાતના ભૂતકાલીન* પાટનગર અમદાવાદના સી.એન. વિદ્યાલયથી આપણે સુપરિચિત. પણ આ સંસ્કારધામનું નામ જે શ્રેષ્ઠીના શુભ નામ સાથે જોડાયેલ છે, તેમનાથી  કેટલા પરિચિત? આ વાત છે શેઠ ચીમનલાલ નગીનદાસની.

શેઠ ચીમનલાલ નગીનદાસ સંસ્કારપ્રેમી શ્રીમંત.

ઓગણીસમી સદીના અંતિમ દશકાની આ વાત. ત્યારે એક અમદાવાદીએ ગુજરાતમાં રંગભૂમિના વિકાસનાં સ્વપ્નાં સેવ્યાં હોય, તે વાત માની શકાય?

હા, અમદાવાદના ડાહ્યાભાઈ ધોળશાજીને અમદાવાદમાં ગુજરાતી ભાષામાં નાટ્યપ્રવૃત્તિઓ વિકસાવવાનું ઘેલું લાગ્યું હતું.

તે જમાનામાં થિયેટર કે નાટકશાળાઓ ન હતી. ખુલ્લી જગ્યા કે વાડીમાં મંડપ બાંધી નાટક ભજવાતાં. ડાહ્યાભાઈ ધોળશાજીને ગુજરાતી રંગમંચના પછાતપણા પર લાગી આવતું. ગુજરાતી નાટક ભજવવા ગુજરાતમાં થિયેટરની વ્યવસ્થા ન હોય તે તેમને અસહ્ય લાગતું.

ડાહ્યાભાઈની વાત શેઠ ચીમનલાલ નગીનદાસના કાને પહોંચી.

આખરે  ડાહ્યાભાઈ ધોળશાજીએ શેઠ ચીમનલાલ નગીનદાસના સહયોગથી ઈ. સ. 1894માં ગુજરાતનું પહેલું પાકું થિયેટર “આનંદભુવન” અમદાવાદમાં ઘીકાંટા વિસ્તારમાં બનાવ્યું.

ગુજરાતમાં નાટ્યપ્રવૃત્તિઓના વિકાસમાં ડાહ્યાભાઈ ધોળશાજી અને શેઠ ચીમનલાલ નગીનદાસના અમૂલ્ય યોગદાન બદલ ગુજરાતી રંગભૂમિ તેમની ઋણી છે.

4 comments September 2, 2008

સંગીત સમ્રાટ પંડિત ઓમકારનાથ ઠાકુર અને મહાયોગી શ્રી અરવિંદ

.

ભારતના વિશ્વપ્રસિદ્ધ સંગીતજ્ઞ પંડિત ઓમકારનાથ ઠાકુર ગુજરાતના ખેડા જિલ્લામાં જન્મ્યા હતા તે વાત આપણામાંથી બહુ ઓછા જાણે છે.

મુંબઈમાં પંડિત વિષ્ણુ દિગંબર પાસે સંગીતસાધના કરી ઓમકારનાથજી યુવાનવયે લાહોર (હાલ પાકિસ્તાન) ખાતે ગાંધર્વ મહાવિદ્યાલયના આચાર્યપદે નીમાયા. પરંતુ તેમના હૃદયમાં ચીલાચાલુ જીવનની ચાહ ન હતી. ઓમકારનાથની બાલ્યાવસ્થામાં તેમના પિતાજીએ કુટુંબ ત્યાગી સંન્યાસ માર્ગ લીધો હતો. તેમના હૃદયમાં પણ અધ્યાત્મમાર્ગની લગની હતી.

પંડિતજીને અંબુભાઇ પુરાણી સાથે મિત્રતા હતી. અંબુભાઇ પુરાણીએ 1918માં પ્રથમ વખત પોંડિચેરી ખાતે મહાયોગી મહર્ષિ અરવિંદનાં દર્શન અને સત્સંગનો લાભ લીધેલો. અંબુભાઈ શ્રી અરવિંદના યોગમાર્ગથી પ્રભાવિત થયેલા અને તેમનો રંગ પંડિતજીને લાગ્યો.

ઓમકારનાથજી અને અંબુભાઇ પુરાણી ઘરની માયા છોડી નર્મદા મૈયાના ખોળે જઇ બેઠા. આ વાત લગભગ 1920-21ની. બંને મિત્રો નર્મદા નદીના કિનારે ઝૂંપડી બાંધી યોગ સાધનામાં રત થઈ ગયા. તેમણે પોંડિચેરી વસેલા મહર્ષિ અરવિંદ સાથે પત્રવ્યવહાર શરૂ કર્યો.

મહાયોગી શ્રી અરવિંદને તેમની અધ્યાત્મવૃત્તિની પ્રતીતિ થતાં તેમણે બંને મિત્રોને  પોંડિચેરી આશ્રમ બોલાવ્યા. બન્યું એવું કે એકલા અંબુભાઇ 1921માં શ્રી અરવિંદ આશ્રમ, પોંડિચેરી પહોંચ્યા. પંડિતજી ઘેર પાછા ફર્યા. પછી ઓમકારનાથ ઠાકુર સંગીતની દુનિયામાં સફળતાનાં ઉત્તુંગ શિખરો સર કરતા ગયા.

.

3 comments August 25, 2008

ભારતરત્ન જે આર ડી ટાટા અને અમદાવાદ

.
મહાન ઉદ્યોગપતિ જે આર ડી ટાટા (જહાંગીર રતનજી દાદાભાઈ તાતા 1904 – 1993) ને રાષ્ટ્રનિર્માણમાં વિશિષ્ટ યોગદાન અને ઔદ્યોગિક ક્ષેત્રે અદ્વિતીય ફાળા માટે 1992માં ભારત રત્નથી સન્માનિત કરાયા હતા.

જે આર ડી ટાટા ભારતમાં હવાઈ સેવાઓ – એવિએશન ઇન્ડસ્ટ્રી – ના પ્રણેતા તરીકે આજે પણ આદર પામે છે. જે આર ડી ટાટાએ 1932માં ટાટા એરલાઈન્સના રૂપમાં ભારતની પ્રથમ એરલાઈન કંપનીની સ્થાપના કરી. પ્રારંભમાં તે કંપનીએ એર મેલ સેવા આપી અને પાછળથી તેની પેસેંજર હવાઈ સેવાઓ શરૂ થઈ. ટાટા એરલાઈન્સ 1946માં પબ્લિક લિમિટેડ કંપની બની અને એર ઇન્ડિયાના નવા નામે ઓળખાઈ.

આજે આપણે જે આર ડી ટાટાના ગુજરાતની રાજધાની અમદાવાદ સાથેના સંબંધને યાદ કરીએ.

પેરિસ (ફ્રાંસ)માં જન્મેલા જે આર ડી ટાટા પોતે કુશળ પાયલોટ હતા. ટાટા એરલાઈન્સના આરંભે જે આર ડી ટાટાએ સ્વયં Puss Moth એરક્રાફ્ટ ઉડાડ્યું હતું અને કરાચી – અમદાવાદ – મુંબઈ હવાઈ યાત્રા કરી હતી.

1932ની 15 ઓક્ટોબરના રોજ સિંગલ એંજિન Puss Moth એરોપ્લેન લઈ કરાંચી (હાલ પાકિસ્તાનમાં)થી નીકળી જે આર ડી ટાટા અમદાવાદ આવ્યા હતા. અમદાવાદ હોલ્ટ કરી તેઓ મુંબઈ તરફ આગળ વધ્યા હતા. આખરે એરોપ્લેનને મુંબઈના જૂહુ એરોડ્રોમ પર ઉતારી જે આર ડી ટાટાએ કરાચી – અમદાવાદ – મુંબઈ હવાઈ યાત્રા સફળતાપૂર્વક પૂર્ણ કરી હતી. * *

.

Add comment July 31, 2008

ઇન્ડિયાના જોન્સ, સ્ટંટબાજી, હોલિવુડ અને બોલિવુડ

.

હોલિવુડના મહારથીઓ સ્ટીવન સ્પીલબર્ગ અને જ્યોર્જ લુકાસના સહયોગથી બનેલ મસાલેદાર ફિલ્મ ઇન્ડિયાના જોન્સ એંડ ધ કિંગ્ડમ ઓફ ધ ક્રિસ્ટલ સ્કલ ગયા વિક એંડ પર રજૂ થઈ.

વિશેષ કાળજીભરી સિનેમેટોગ્રાફીથી મઢિત ફિલ્મ ઇન્ડિયાના જોન્સ-4 સૌને કેટલી જચશે તે તો સમય બતાવશે, પરંતુ પીઢ અભિનેતા હેરિસન ફોર્ડ અને લબરમૂછિયા એકવીસ વર્ષના કલાકાર શાયા (શિયા)ની સ્ટંટબાજી (Harrison Ford, Shia LaBeouf) ઘણાને ખૂબ પસંદ પડી છે. ત્યારે હોલિવુડ - બોલિવુડના કેટલાક પ્રમુખ સ્ટંટબાજ જરૂર યાદ આવે.

હોલિવુડમાં સ્ટંટબાજીના પ્રણેતા ડગ્લાસ ફેરબેંક્સ (Douglas Fairbanks 1883 – 1939).

અમેરિકન ફિલ્મ કંપની યુનાઈટેડ આર્ટીસ્ટસની સ્થાપનામાં ડી. ડબલ્યુ. ગ્રીફીથ અને ચાર્લી ચેપ્લિન સાથે ડગ્લાસ ફેરબેંક્સનો ફાળો.

અમેરિકામાં 1920માં ડગ્લાસ ફેરબેંક્સની ફિલ્મ આવેલી – ‘માર્ક ઓફ ઝોરો’.

આ ફિલ્મ હિંદુસ્તાનમાં વાડિયા બંધુઓએ જોઈ. વાડિયા બ્રધર્સ તે સમયે મુંબઈમાં ફિલ્મ નિર્માણમાં પડેલા. હોમી વાડિયાની નજરમાં યશવંત દવે નામક સ્ટંટમેન હતો. જબરી સ્ટંટબાજી કરી શકતો!

‘માર્ક ઓફ ઝોરો’નાં સ્ટંટ દ્રશ્યો પરથી પ્રેરણા લઈ, યશવંત દવેને હીરો બનાવી વાડિયાએ 1930માં મૂંગી ફિલ્મ બનાવી- ‘દિલેર ડાકૂ’.

બસ, ત્યાર પછી વાડિયા મુવીટોનનું નામ ભારતીય સિનેમા જગતમાં સ્ટંટ ફિલ્મો સાથે જોડાઈ ગયું.

1935માં હોમી વાડિયાની ફિલ્મ ‘હંટરવાલી’માં ચમકનાર નાદિયા ધ ફિયરલેસનું નામ બોલિવુડની સ્ટંટબાજીમાં અમર થઈ ગયું છે.


*   *   *  *

1 comment June 4, 2008

મહાત્મા ગાંધી અને અમદાવાદ સત્યાગ્રહ આશ્રમનો આરંભ

.

 

મોહનદાસ કરમચંદ ગાંધી દક્ષિણ આફ્રિકામાં પોતાની વિશિષ્ટ વિચારધારા અને પ્રવૃત્તિઓથી ખ્યાતિ પામ્યા.

હિંદુસ્તાનના અગ્રગણ્ય નેતા ગોપાલ કૃષ્ણ ગોખલે (1866 1915)એ ગાંધીજીને સ્વદેશ પરત થઈ દેશસેવામાં જોડાવા આહવાન કર્યું.

ગોખલેજીના સૂચનને સ્વીકારી ગાંધીજી 1915ના 9મી જાન્યુઆરીએ હિંદુસ્તાન આવ્યા.

ગાંધીજીએ સૌરાષ્ટ્ર તથા બંગાળનો પ્રવાસ કર્યો.

ગાંધીજી બંગાળમાં શાંતિનિકેતન ગયા અને ગુરુદેવ રવીન્દ્રનાથ ટાગોર સાથે રહ્યા. ગીતાંજલિ માટે નોબેલ પ્રાઈઝથી સન્માનિત કવિવર રવીન્દ્રનાથ ટાગોરે ગાંધીજીને મહાત્મા કહી સંબોધ્યા. ત્યારથી મોહનદાસ ગાંધી મહાત્મા ગાંધી તરીકે જાણીતા થયા.

ગાંધીજીએ અમદાવાદમાં ઠરીઠામ થઈ પોતાની પ્રવૃત્તિઓ કરવા નિર્ણય લીધો.

અમદાવાદમાં પાલડી તરફના કોચરબ પરા વિસ્તારમાં એક વકીલ જીવણલાલનો બંગલો હતો. મહાત્મા ગાંધીએ આ બંગલો ભાડે લઈ પોતાની પ્રવૃત્તિઓનો આરંભ કર્યો.

1915ના મે મહિનામાં તે સ્થળે ગાંધીજીના સત્યાગ્રહ આશ્રમ (કોચરબ) નો આરંભ થયો.

.

 

Add comment May 6, 2008

ભારતનાં દેશી રજવાડાં અને સરદાર પટેલ

.

 

ઇસ 1947ની 15મી ઓગસ્ટના રોજ હિંદુસ્તાન સ્વતંત્ર થયું.

નવસર્જિત ભારત દેશમાં આશરે સાડા પાંચસો  જેટલાં નાનાં-મોટાં રાજ્યો-રજવાડાં હતાં.

આપને નવાઇ લાગશે કે આ પૈકી ત્રણસો જેટલાં રજવાડાં ગુજરાત અને કાઠિયાવાડમાં હતાં. ગુજરાતમાં સૌથી મોટું રાજ્ય વડોદરાનું હતું. કાઠિયાવાડ-સૌરાષ્ટ્રમાં જામનગર રાજ્ય પ્રભાવશાળી હતું.

તમે આ રાજ્ય-રજવાડાંનાં નામ સાંભળી નવાઈ પામશો: વડોદરા, રાજકોટ, જામનગર, જૂનાગઢ, દાંતા, વાંસદા, ઇડર, પાલનપુર, રાધનપુર, ડીસા, લીમડી, મૂળી, લખતર, ચૂડા, માંગરોળ, માણાવદર, સરદારગઢ, છોટાઉદેપુર, દેવગઢબારિયા અને બીજાં અનેક …

15 ઓગસ્ટ, 1947નાં રોજ આ તમામ રાજ-રજવાડાં સ્વતંત્ર થયાં!

લોખંડી ગુજરાતી  પુરૂષ સરદાર પટેલને ધન્યવાદ કે જેમણે દેશનાં આવાં સાડા પાંચસો રજવાડાંઓને ભારતમાં ભેળવ્યાં.

ગુજરાતના આ પનોતા પુત્ર સરદાર પટેલને સલામ!

 

3 comments April 30, 2008

ગુજરાતી રંગભૂમિ

.

ગુજરાતી રંગભૂમિના વિકાસના કેટલાક રસપ્રદ તબક્કાઓ છે.

ઇસ 1842માં મુંબઈમાં ગ્રાંટ રોડ પર રોયલ થિયેટર બંધાયું. 

મુંબઈના જગન્નાથ શંકર શેઠ નામે ધનપતિ ગુજરાતીએ તે બંધાવ્યું હોવાથી રોયલ થિયેટર શંકર શેઠની નાટક શાળા તરીકે ઓળખાયું. 

સાચું કહો તો, ગુજરાતી ભાષામાં નાટ્યપ્રવૃત્તિઓના શ્રીગણેશ કરવાનો  શ્રેય ગુજરાત બહારના, મુંબઈના પારસીઓને જાય છે.

 મુંબઈના પારસી આગેવાનોએ સ્થાપેલ પારસી નાટક મંડળીએ ગુજરાતી રંગભૂમિની નાટ્યપ્રવૃત્તિઓને ત્વરાથી વિકસાવી. ગુજરાતી નાટ્યશાસ્ત્રના પ્રારંભિક તબક્કામાં નાટ્યલેખન, દિગ્દર્શન અને અભિનય ક્ષેત્રે પારસીઓની બોલબાલા હતી.

રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી (ગાંધીજી) નો જન્મ જે વર્ષમાં થયો, તે વર્ષ 1869માં કે. ખુશરૂ કાબરાજીની વિક્ટોરિયા નાટક મંડળીનું બેજન મનીજેહ નાટક ભારે સફળતાને વર્યું.

 પારસી નાટક મંડળીના નાટક રૂસ્તમ સોહરાબમાં કવિ દલપતરામનાં ગીતો હતાં.

ગુજરાતી લેખક નાટ્યકાર રણછોડભાઈ ઉદયરામ દવેનાં / નાટક પારસી નાટક કંપનીઓ ભજવતી. એક નાટ્યપ્રયોગ વખતે મુંબઈના ગુજરાતી મહેતાજીઓને પારસી નાટક કંપની સાથે મતભેદ થયો.

1878માં મુંબઈના ગુજરાતીઓએ ગુજરાતી નાટક મંડળીની સ્થાપના કરી.

આ નવોદિત ગુજરાતી નાટક મંડળીનો પહેલો નાટ્ય પ્રયોગ તે રણછોડભાઈ ઉદયરામ દવેનું લલિતાદુઃખદર્શક.

ગુજરાતી રંગમંચના મહાન કલાકાર જયશંકર સુંદરીએ  ગુજરાતી નાટક મંડળીમાં વર્ષો સુધી અભિનય આપ્યો. ગુજરાતી રંગભૂમિના વિકાસમાં જયશંકર સુંદરીનું યોગદાન અવિસ્મરણીય છે.

*  *  *  **  **

Add comment March 18, 2008

ગાંધીજીના ભત્રીજા સામળદાસ ગાંધી અને જૂનાગઢની આરઝી હકૂમત

.

*

રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી પોરબંદરના દિવાન કરમચંદ ગાંધીના પુત્ર.

ગાંધીજીના મોટાભાઈ લક્ષ્મીદાસ ગાંધી. લક્ષ્મીદાસ ગાંધીના પુત્ર સામળદાસ ગાંધી.

આમ, સામળદાસ ગાંધી આપણા રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીના ભત્રીજા.

સામળદાસ ગાંધીએ અમદાવાદમાં ગાંધીજીના નવજીવનમાં તથા મુંબઈમાં મુંબઈ સમાચાર અને જન્મભૂમિમાં કામ કર્યું.

1947માં હિંદુસ્તાન આઝાદ થયું.

ગુજરાતમાં જૂનાગઢ(સૌરાષ્ટ્ર)ના નવાબે ભારત સંઘમાં ભળવા ઇંકાર કર્યો અને પાકિસ્તાન સાથે જોડાવા તૈયારીઓ આદરી. સૌરાષ્ટ્ર-ગુજરાતના કોંગ્રેસના આગેવાનોએ જૂનાગઢને બચાવવા સમાંતર સરકાર રચવા નિર્ણય કર્યો.

મુંબઈમાં ટાટા ગૃપની તાજમહાલ હોટેલમાં સામળદાસ ગાંધી, ઢેબરભાઈ, રસિકલાલ પરીખ વગેરે ગુજરાતી નેતાઓએ જૂનાગઢની આરઝી હકૂમત રચી.

જૂનાગઢના નવાબ સામે  પ્રચંડ પ્રજામત જાગૃત થતાં નવાબે પાકિસ્તાન ભાગવું પડ્યું.

જૂનાગઢમાં પ્રજાતંત્રની સ્થાપના થઈ. વડાપ્રધાન પદે સામળદાસ ગાંધીની વરણી થઈ. જૂનાગઢ ભારતીય સંઘમાં ભળ્યું ત્યાં સુધી ત્યાંના પ્રજાતંત્રના વડાપ્રધાન તરીકે સામળદાસ ગાંધી રહ્યા.*   *  *  *  **  **  * *  *

 

Add comment February 29, 2008

સુરતના સવિતાનારાયણ ગણપતિનારાયણ

.
ઇસ 1840માં સુરતમાં સવિતાનારાયણ ગણપતિનારાયણનો જન્મ.

નાનપણથી જ્ઞાનની ભૂખ.

સુરતના વિખ્યાત સુધારક દુર્ગારામ મહેતાજીની શાળામાં અભ્યાસ કર્યો. લખતાં-વાંચતાં શીખ્યા. સવિતાનારાયણની જિજ્ઞાસાવૃત્તિ એવી પ્રબળ કે અંગ્રેજી પણ શીખ્યા.

તે વર્ષ 1857નું.

જ્યારે હિંદુસ્તાન સ્વાતંત્રસંગ્રામની ચિનગારીઓમાં લપેટાયેલું હતું ત્યારે ઇંગ્લેન્ડની ઇસ્ટ ઇન્ડિયા કંપનીના અંગ્રેજ હાકેમો સુરત પાસે તાપી નદી પર પુલ બાંધી રહ્યા હતા.

અંગ્રેજ ઇજનેરો મજૂરો પાસેથી કામ શી રીતે લે? તેમને દુભાશિયાની જરૂર પડી.

સત્તરેક વર્ષના સવિતાનારાયણ ગણપતિનારાયણ પચ્ચીસ રૂપિયાના માતબર પગારથી દુભાશિયા તરીકે નિમણૂક પામ્યા. અંગ્રેજ ઇજનેરો અંગ્રેજી ભાષામાં સૂચના આપે; સવિતાનારાયણ ગુજરાતીમાં કડિયા-મિસ્ત્રી-મજૂરોને સમજાવે.

ફાજલ સમયમાં તેમણે પુસ્તકો વાંચીને લેખનપ્રવૃત્તિ શરૂ કરી. તેમના લેખો-કાવ્યો પ્રસિદ્ધ પણ થયાં.

ગુજરાતના રૂઢિચુસ્ત, અંધારા સમાજમાં એક સામાન્ય કુટુંબમાં જન્મેલ એક અદનો ગુજરાતી તે યુગમાં આપબળે કેવી પ્રગતિ કરી શક્યો!

વાઇબ્રન્ટ ગુજરાતની રોશનીમાં આવા કંઈક દુર્ગારામ મહેતાજી, કંઈક સવિતાનારાયણની જીવનરેખાઓ આપણે જોઇ શકતા નથી.

આજે ગુજરાત સવિતાનારાયણ જેવા કેટલાયે ગરવા ગુજરાતીઓને વિસરી ગયું છે!

કોણ સાંભળશે આ વિસરાતી વાતો?

.

2 comments January 31, 2008

ગાંધીજીના ઠાકરશી કુટુંબના બંગલે ઉપવાસ

*

.મહાત્મા ગાંધી (ગાંધીજી)લંડન (ઇંગ્લેંડ) ની બીજી ગોળમેજી પરિષદ (Second Round Table Conference, London, England) ની નિષ્ફળતા પછી અંગ્રેજ સરકાર (બ્રિટીશ ગવર્ન્મેન્ટ) સામે હિંદુસ્તાનમાં અસરકારક લડત ઉપાડી.

અંગ્રેજ સરકારે દમનના જોરે લોક-જુવાળ કચડી નાખવા પ્રયત્નો આદર્યા. બ્રિટીશ સરકારે સભા-સરઘસો ઉપર પ્રતિબંધ મૂક્યા અને કોંગ્રેસની ઓફિસો અને કાર્યકર્તાઓની છાવણીઓ જપ્ત કરી.

1931ના જાન્યુઆરીની ચોથી તારીખે ગાંધીજી તથા સરદાર પટેલની ધરપકડ થઈ. ગાંધીજીના પૂના ખાતે યરવડા જેલનિવાસ દરમ્યાન ઘણી ઘટનાઓ ઘટી.

1931ની 18 એપ્રિલે હિંદુસ્તાનના અંગ્રેજ વાઇસરૉય તરીકે લોર્ડ વિલિંગ્ડનની નિમણૂક થઈ.

ગાંધીજી સોળ મહિના પૂનાની યરવડા જેલ (યેરવડા જેલ) માં રહ્યા. અંત્યજોને ઉત્તેજન આપી હિંદુ સમાજમાં ભાગલા પડાવતી અંગ્રેજ-કૂટનીતિને ગાંધીજી પારખી ગયા હતા. તેથી હરિજનપ્રશ્ન પર ગાંધીજીએ આમરણ ઉપવાસ કરવાની જાહેરાત કરી.

1933ની આઠમી મેના રોજ “આત્મશુદ્ધિ” માટેના ગાંધીજીના ઉપવાસ શરૂ થયા.

આમરણ ઉપવાસના સંભવિત પરિણામોથી ગભરાઇને અંગ્રેજ સરકારે ગાંધીજીને તરત છોડી મૂક્યા. ગાંધીજીએ પૂના ન છોડવા નિર્ણય કર્યો. “અનુપમા”ના વાચકો જાણે છે કે પૂનામાં યરવડા જેલની સામે જ સર વિઠ્ઠલદાસ ઠાકરસી (ઠાકરશી) નો “પર્ણકુટી” (પર્ણકુટિ) બંગલો.

સર વિઠ્ઠલદાસના સ્વર્ગવાસ પછી લેડી પ્રેમલીલા ઠાકરશી (મુંબઈની એસ.એન.ડી.ટી. યુનિવર્સિટીના ઉપકુલપતિ, 1951-1969) “પર્ણકુટી” બંગલામાં રહેતા.

મહાત્મા ગાંધીએ પોતાના એકવીસ દિવસના ઉપવાસ પ્રેમલીલા ઠાકરસીના બંગલામાં રહીને કર્યા. 29 મે, 1933ના રોજ ગાંધીજીના ઉપવાસ હેમખેમ પૂરા થયા ત્યારે દેશવાસીઓના જીવમાં જીવ આવ્યો.

* * * *

3 comments December 31, 2007

મહાત્મા ગાંધી, સરદાર પટેલ અને અમદાવાદની ગુજરાત ક્લબ

.

અમદાવાદના લાલ દરવાજા વિસ્તારમાં આવેલ પ્રખ્યાત ગુજરાત ક્લબને અમદાવાદવાસીઓ જાણે ખરા, પણ તેનું મહત્વ વિસરતા જાય છે.

ગુજરાત ક્લબને ગાંધીજી અને સરદાર પટેલ સાથે શો સંબંધ હોય, ભલા?

ગાંધીજી ઈંગ્લેંડમાં બેરિસ્ટર થઈ આફ્રિકા વકીલાત કરવા ગયા હતા તે આપ જાણો છો. તે સમયે ગાંધી બાપૂ આફ્રિકામાં મિ. એમ.કે. ગાંધી (મોહનદાસ કરમચંદ ગાંધી કે ટૂંકમાં મિ. ગાંધી) તરીકે ઓળખાતા.

આફ્રિકાથી ગાંધીજી જાન્યુઆરી, 1915માં ભારત આવ્યા ત્યારે તેમણે પોતાના વતન ગુજરાતમાં સ્થાયી થવું નક્કી કર્યું. ગુજરાતીઓમાં હિંદુસ્તાનની સ્વતંત્રતા બાબત જાગૃતિ આવી રહી હતી.

ગુજરાતમાં મહાત્મા ગાંધીએ અમદાવાદના પાલડી પાસે કોચરબમાં પોતાનો પહેલો આશ્રમ સ્થાપ્યો.

કોચરબ આશ્રમમાં તેમણે પોતાની પ્રવૃત્તિઓ શરૂ કરી, ત્યારે અમદાવાદના લાલ દરવાજા વિસ્તારમાં સ્થિત ગુજરાત ક્લબ વકીલો અને અન્ય બુદ્ધિજીવીઓનું મિલનસ્થાન બની રહેતી. ગાંધીજી કાઠિયાવાડી પહેરવેશમાં ગુજરાત ક્લબ જતા – અંગરખું, માથે ફાળિયું અને ખેસ.

ગુજરાત ક્લબમાં ગણેશ વાસુદેવ માવલંકર (સ્વતંત્ર ભારતની સંસદના પ્રથમ લોકસભાના પ્રથમ સ્પીકર દાદાસાહેબ માવળંકર, અમદાવાદની એલ.ડી. આર્ટસ કોલેજના પ્રિન્સિપાલ પુરૂષોત્તમ માવળંકરના પિતા) અને સરદાર વલ્લભભાઈ પટેલ સહિત અગ્રણી નાગરિકો આવતા. ગાંધીજી તેમની સમક્ષ પોતાના વિચારો અને અનુભવો રજૂ કરતા.

સરદાર પટેલ ત્યારે કોટ-પેન્ટ-બુટમાં નખશીખ વિદેશી દેખાવમાં રહેતા અને મોંમાં ચિરૂટ રાખતા. શરૂઆતની મુલાકાતોમાં સરદાર પટેલ મહાત્મા ગાંધીની વાતોથી પ્રભાવિત નહોતા થયા. ઉપરથી, સરદાર પટેલ સાથી વકીલ મિત્રો સાથે બ્રીજ રમતાં રમતાં ગાંધીજીના કાઠિયાવાડી પોષાકની મજાક ઉડાવતા.

આ જ સરદાર પટેલ બે જ વર્ષના સમયગાળામાં વિદેશી ઢબ-છબ છોડી ગાંધીજીના ચુસ્ત અનુયાયી બની ગયા!!!

.

1 comment November 14, 2007

અમેરિકન સૈનિકોના માથે ખાદીની ગાંધી-ટોપી

.

અમેરિકન સૈનિકોના માથે ખાદીની ગાંધી-ટોપી!!

1942. આઠમી ઑગસ્ટ.

ગાંધીજીમુંબઈમાં અંગ્રેજો સામે હિંદ છોડો (Quit India) લડતની જાહેરાત કરી.

મહાત્મા ગાંધી સહિત દેશભરના અનેક દેશભક્તોને અંગ્રેજ સરકારે જેલમાં કેદ કર્યા. ગાંધીજીને પૂનાની યરવડા જેલમાં રાખ્યા હતા.

 બ્રિટીશ સરકારના દમનના વિરોધમાં કરાંચી (હાલ પાકિસ્તાનમાં) માં એક સરઘસ નીકળ્યું.

તે સમયે બીજું વિશ્વયુદ્ધ (દ્વિતીય વિશ્વયુદ્ધ Second World war) ચાલુ હોવાથી અમેરિકાનું લશ્કરી દળ કરાંચીમાં હતું.

સરઘસમાં શામિલ આબાલ વૃદ્ધોની દેશભક્તિને જોઈ અમેરિકાની લશ્કરી ટુકડી તાજ્જુબ થઈ ગઈ. સરઘસના સ્વયંસેવકોએ અમેરિકન સૈનિકોને ખાદીની સફેદ ગાંધી ટોપીઓ ઓફર કરી.

જુસ્સામાં આવી ગયેલા અમેરિકન સનિકોએ માથે ખાદીની ગાંધી ટોપીઓ હોંશે હોંશે પહેરી!

ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામમાં તે ગુમનામ અમેરિકન સૈનિકોનું અનોખું યોગદાન આજે વિસરાઈ ગયું છે.

આ વિરલ ઘટના નેશનલ આર્કિવ્ઝ ઓફ ઈન્ડિયા (National Archives  of India)ના કાગળોમાં ક્યાં દબાઈ ગઈ હશે? 

. 

1 comment October 24, 2007

Previous Posts


નમસ્કાર

“અનુપમા” પર આપનું સ્વાગત છે. “અનુપમા” પર આપ મુક્તપંચિકા તથા અન્ય પદ્યકૃતિઓ માણશો. સાથે અવનવી વાતો અને વિચારવિનિમય પણ .. .. ... .. .... .. હરીશ દવે ... અમદાવાદ

વિભાગ / સ્તંભ

તાજેતરની પોસ્ટ્સ

આપના પ્રતિભાવ

u.k.parmar on ભાવનગરની શામળદાસ કોલેજ
u.k.parmar on ભારતનાં દેશી રજવાડાં અને સરદાર…
KANTILAL KARSHALA on વિઠ્ઠલદાસ ઠાકરસી – મુંબઈ…
kiran patel patidar on ભારતનાં દેશી રજવાડાં અને સરદાર…
KANTILAL KARSHALA on ભાવનગરની શામળદાસ કોલેજ
વિશ્વદીપ બારડ on ભાવનગરની શામળદાસ કોલેજ
hina ganatra on મહાત્મા ગાંધી, સરદાર પટેલ અને …

વીતેલા મહિનાઓની પોસ્ટ્સ

મુક્તપંચિકા

Blog Stats